આગામી તા. 1 ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હેમખેમ પાર પડે એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ અત્યારથી જ જડબેસલાક વ્યવસ્થાઓ વિકસાવવા માંડી છે. મળતી માહિતી મુજબ સુરતના ચૂંટણી તંત્રને સૌથી વધુ ટેન્શન ક્રિટિકલ મતદાન મથકોનું છે, જ્યાં 2017ની ચૂંટણીમાં પણ પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો, આ વખતે પણ એ મતદાન મથકોને સંવેદનશીલ ઝોન (ક્રિટિકલ) સ્ટેટ્સમાં મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન (સીપીએસ) ધરાવતા વિધાનસભા જો કોઇ હોય તો એ વરાછા રોડ વિધાનસભા મત વિસ્તાર છે. વરાછા રોડ વિધાનસભામાં કુલ 199 મતદાન મથક છે. આ પૈકી 97 ટકા એટલે કે 193 મતદાન મથકને ક્રિટિકલ સ્ટેટસમાં મૂકવામાં આવ્યાં છે. એ પછી કરંજ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 176 મતદાન મથક છે, જે પૈકી 95. 45 ટકા એટલે કે 168 મતદાન મથક ક્રિટિકલ છે. અન્ય પાટીદાર પ્રભાવિત મતદાન મથકો કે જેમને ક્રિટિકલ ઝોનમાં મુકાયા છે એમાં કામરેજ વિધાનસભામાં કુલ 520 મતદાન મથક પૈકી 383 (74 ટકા) મતદાન મથકો ક્રિટિકલ છે. સુરત ઉત્તર વિધાનસભામાં 33 અને કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં 31 ટકા મતદાન મથક ક્રિટિકલ ઝોનમાં છે.

સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો કુલ 16 વિધાનસભા મત વિસ્તાર માટે ઊભા કરવામાં આવનારાં 4637 મતદાન મથક પૈકી 41 ટકા મતદાન મથકોને ક્રિટિકલ ઝોનમાં મૂકીને એ મુજબની વ્યવસ્થાઓ તા. 1લી ડિસેમ્બર અગાઉથી સ્થાપિત કરી દેવામાં આવશે.