ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઇ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.