પાવીજેતપુર તાલુકામાં ભેંસાવહી ગામે દેવ દિવાળી તહેવાર નિમિત્તે આદિવાસી પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલ ખત્રીજ દેવ-દેવીઓની તેમજ પાળિયાઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ પૂજા કરવામાં આવી હતી.

         પ્રાપ્ત માહિતી મુજબ આદિવાસી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ જ મહત્વ હોય ત્યારે પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે મોટી સંખ્યામાં નાના-મોટા દરેક ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા એવા ખત્રી જ દેવ-દેવીઓ તેમજ પાળિયાઓની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

           દેવ દિવાળીના દિવસે ખત્રીજ દેવને પણ માતાની સાથે પૂજવામાં આવે છે. તેઓની રક્ષક દેવ તરીકે પુજા કરાય છે. બામણીયા ગોત્રની વડવાઓ દ્વારા આઝાદી પૂર્વેના સમયમાં સ્થાપના થઈ હશે, જે ખત્રીજ દેવના સ્થાનકે શિલાલેખ પર આદિવાસીઓના વડવાઓ દ્વારા બામણીયા ગોત્ર નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. બામણીયા ગોત્ર આદિવાસીઓ નું ગોત્ર છે. 

            દેવ દિવાળી રાઠવા આદિવાસી સમાજ માટે ખુબ જ મહત્વની ગણાતી હોય, દેવ દિવાળીને વધારે ધામ ધુમથી ઉજવવામાં આવે છે દેવી-દેવતાઓની પૂંજા દેવ દિવાળીમાં જ વિશેષ કરવામાં આવે છે. જેમાં બાધા લેવી, બાધા છોડવી જેવી બાબતો માટે દેવ દેવીઓના પૂજન બાદ જૂની ચઢાવેલ સામગ્રી ની જગ્યા પર દેવદેવીઓની નવી સામગ્રી ચઢાવાય છે. માટીના બનાવેલા ઘોડાઓ આ દિવસે ગામના મુખ્ય સ્થળો ઉપર મૂકીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેનાથી આદિવાસીઓનું માનવું છે કે પોતાનું ગામ પણ સુરક્ષિત રહે છે તેમજ ગામમાં ખુશાલી આવે છે.

         આમ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહિ ગામે દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલ દેવ-દેવીઓની પૂજા કરી ઉજાણી કરી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે દિવાળી ઉજવવામાં આવી હતી.