હાલમાં ચાલી રહેલી તહેવારોની શ્રૃંખલાઓ અને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭(૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની કે છટાદાર ભાષણ આપવા સહિતના કૃત્યો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની કે સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના ફરજ પર હોય તેવા સરકારી તેમજ અર્ધસરકારી અધિકારીઓ-કર્મચારીઓ, સ્મશાન યાત્રા, વરઘોડા ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરૂરી છે તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .