જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા દરજીકામ કરતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ભગવાનપરા વિસ્તારમાં રહેતા અને શહેરના સરદાર માર્કેટમાં પાટીદારવાળી શેરીમાં સિદ્ધિ વિનાયક ટેઈલરના નામે દુકાન ચલાવતા જગદીશ મૌલેશભાઈ ગોહિલ(ઉ.વ.38) અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં રહેલા પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લેતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની જાણ થતાં તેના પરિવારજનો તાત્કાલિક દુકાન ખાતે દોડી આવ્યા હતા અને મૃતકને પોલીસ સ્ટાફની હાજરીમાં નીચે ઉતારી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. આ બનાવમાં જસદણ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની લાશને જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી.આ બનાવમાં મૃતકના નાનાભાઈ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ દ૨૨ોજ બપોરે જમવા માટે ઘરે જાય છે. પરંતુ આજે સાંજના 7 વાગ્યા સુધી ઘરે જમવા ન આવતા હું દુકાને ગયો ત્યારે મારા મોટાભાઈ પંખા સાથે લટકતા હતા. જેથી મેં મારા પરિવારને જાણ કરી હતી અને બાદમાં જસદણ પોલીસને જાણ કરી હતી. મારા ભાઈના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક 2 વર્ષની દીકરી છે. પરંતુ મારા મોટાભાઈએ ક્યા કારણોસર આ પગલું ભરી લીધું તે અમને ખ્યાલ નથી. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.