જેતપુરની સારણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

જેતપુર શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ફકીરવાળા પાછળ સારણ નદીમાંથી તરતો મૃતદેહ મળ્યો હતો જે બાજુમાં જ રહેતા એક યુવાનનો હોવાનું જાણવા મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ખાખામઢી હનુમાન મંદિર પાછળ સારણ નદીમાં આજે સાંજના સાતેક વાગ્યે પાણીમાં એક મૃતદેહ તરતો હોવાનો સ્થાનિકોને નજરે પડ્યો હતો. અને કાંઠે એક ભગવા કલરનો શર્ટ અને ત્યાં આધારકાર્ડ પડેલ હતું જેમાં દિનેશભાઈ સોમાભાઈ ચુડાસમા લખેલ હતું. અને એટલામાં એક ઋત્વિક નામનો યુવાન ત્યાં આવેલ અને તેણે મૃતદેહ પોતાના પિતા દિનેશભાઇનો હોવાની ઓળખ આપી હતી. મૃતક યુવાન ત્યાં ગોંદરા વિસ્તારમાં જ રહે છે અને તે સાંજના પાંચ વાગ્યે તો ઘરે આવ્યા હોવાનું તેના પુત્રએ જણાવેલ હતું. મૃતદેહની ઓળખ મળી જતા પોલીસે સ્થાનિક સેવાભાવી યુવાનોની મદદથી મૃતદેહ બહાર કઢાવી સ્થળ પંચનામું કરી પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલ્યો હતો. મૃતક યુવાન અકસ્માતે પાણીમાં પડી ગયો કે આપઘાત કર્યો છે કે હત્યા તે પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે તેવું સ્થાનિક પોલીસે જણાવેલ.