આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૨મો જન્મદિવસ છે.

ભાજપ દ્વારા દેશભરમાં મોદીજીના જન્મ દિવસની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજાય છે. 

આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

ભાજપ 17 સપ્ટેમ્બરથી ગાંધી જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમનો જન્મદિવસ ઉજવશે. પાર્ટીએ તેનું નામ સેવા અભિયાન પખવાડિયા રાખ્યું છે.  

આ અંતર્ગત તમામ જિલ્લાઓમાં વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવશે. 17 સપ્ટેમ્બરના રોજ PM મોદીના 72માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે. 

આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ સંચય અભિયાન, વિકલાંગ વ્યક્તિઓમાં સાધન-સામગ્રી વિતરણ, સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવશે.

 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ખાદી અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ પણ આ સમયગાળા દરમિયાન યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

પીએમ મોદીના જન્મદિવસ પર દિલ્હી ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સેવા પખવાડા'ની ઉજવણી કરશે.આ સમય દરમિયાન આરોગ્ય તપાસણી અને રક્તદાન કેમ્પ સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે એક ખાસ રેસનું આયોજન કરવામાં આવશે, જેમાં ઝૂંપડપટ્ટીના લોકો ભાગ લઈ શકશે. 

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો પાલપુર નેશનલ પાર્કમાં શનિવારે 17 સપ્ટેમ્બરે જ આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે અને આ ખાસ અવસર પર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે હશે.તેઓ શ્યોપુરના કરહાટમાં મહિલા સ્વ-સહાય જૂથના સંમેલનને પણ સંબોધિત કરશે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ ચિત્તાઓની વચ્ચે ઉજવશે