તંદુરસ્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે ભવિષ્યના નિર્માતા એવા બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવું ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮નાં રોજ દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે.બોટાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બરવાળામાં જનભાગીદારી વધારવા અને પોષણ અંગે જનજાગૃત્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા શાળાઓ-આંગણવાડીઓમાં ધાન્યો વડે સુંદર રંગોળીઓ દોરવામાં આવી હતી. આ રંગોળીઓમાં પોષણયુક્ત ખાદ્યવસ્તુઓ જેમકે, શાકભાજી, કઠોળ, અનાજ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં નાનાં ભુલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરકારશ્રી દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ માટે ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.