કેનેડાના ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ પર ભારતે વિરોધ જતાવ્યો છે. ભારતે કેનેડાની સરકારને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને અપરાધીઓ વિરુદધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક વાતો લખવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનની ટ્વીટ પહેલા અનેક કેનેડિયન સાંસદો અને હિન્દુઓએ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારાઓની ટીકા કરી છે.

હાઈ કમિશને પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે ટોરન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી ગતિવિધિઓની નિંદા કરીએ છીએ. કેનેડિયન પ્રશાસન આ મામલે ગંભીરતાથી તપાસ કરે અને અપરાધીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે.’ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે હિન્દુ કેનેડિયન હિન્દુ મંદિરો વિરુદ્ધ હેટ ક્રાઈમને લઈને પરેશાન છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે ‘ટોરન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન કટ્ટરપંથીઓની બર્બરતાની બધાએ ટીકા કરવી જોઈએ. આ એકમાત્ર ઘટના નથી.

કેનેડાના હિન્દુ મંદિર આ અગાઉ પણ હેટ ક્રાઈમનો ભોગ બની ચૂક્યા છે. હિન્દુઓ આવી ઘટનાઓથી પરેશાન છે.’
અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મંદિરની દીવાલો પર ખાલિસ્તાન સમર્થક નારાઓ લખેલા છે. કેનેડિયન સાંસદ રૂબી સહોતાએ કહ્યું કે, સ્વામિનારાયણ મંદિર એટોબિકોકમાં નારેબાજી અપમાનજનક અને ધૃણાસ્પદ છે. કેનેડામાં તમામ ધર્મોને કોઈ પણ ડર વગર અભ્યાસ કરવાનો અધિકાર છે. આ કૃત્ય બદલ અપરાધીઓને કડક સજા મળવી જોઈએ.

બ્રેમ્પટન દક્ષિણ સાંસદ સોનિયા સિદ્ધુએ લખ્યું કે હું ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમા થયેલી બર્બરતાની ઘટનાથી વ્યાકુળ છું. અમે એક બહુસાંસસ્કૃતિક અને બહુ વિશ્વસનીય સમુદાયમાં રહીએ છીએ, જ્યાં દરેક સુરક્ષિત મહેસૂસ કરવા માટે હકદાર છે. જે આ ઘટના માટે જવાબદાર છે તેમણે તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.