કેન્દ્ર સરકારના શિપીંગ, પોર્ટ્સ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં મંત્રીએ ભાવનગર જિલ્લાના ઘોઘા અને સુરત જિલ્લાના હઝીરા વચ્ચે ચાલતી રો-રો ફેરીની મુલાકાત લીધી હતી. ફેરીના ટર્મિનલ પર મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરઊર્જા સંચાલિત આ ફેરીની વિવિધ ખાસિયતો વિશે મંત્રીએ જાણકારી મેળવી હતી. પ્રવાસીઓ માટેની વિવિધ શ્રેણીની બેઠક વ્યવસ્થા, સ્લીપર કેબિન, લાઉન્જ અને કેફેટેરિયા સહિતની સુવિધાઓ વિશે પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી. આ સુવિધાઓ અંગે પ્રતિક્રિયા આપતા મંત્રી સોનોવાલે કહ્યું હતું કે ભારતમાં સમુદ્રીય જળમાર્ગો અને આંતરિક જળમાર્ગોને વધુ સુવિધાસભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. સડકમાર્ગ થી ઘોઘાથી હઝીરા વચ્ચેનું અંતર દસથી બાર કલાક થાય છે, પરંતુ આ ઇકોફ્રેન્ડલી ફેરીના કારણે આ અંતર માત્ર ત્રણ કલાકમાં કાપી શકાય છે. આ ફેરી દ્વારા ગુજરાતના લોકો સુવિધાપૂર્ણ રીતે પ્રવાસ કરી શકે અને તેમના સમયની બચત થાય છે. તેથી આ ફેરી ગુજરાતના લોકોને મળેલી વિશિષ્ટ ભેટ સમાન છે. આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત, સાંસદ ડો ભારતીબેન શિયાળ, સચિવ, શિપિંગ ડૉ. સંજીવ રંજન, અધિક સચિવ શિપિંગ રાજેશ કુમાર સિંહા, જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે, SP રવીન્દ્ર પટેલ સહિતના અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ આ સુવિધાની મુલાકાત લીધી હતી.