દાહોદ જિલ્લા કક્ષા કાર્યક્રમ રાજ્યમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે દાહોદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૧૪.૬૧ કરોડના ૪૫ વિકાસકાર્યો લોકાર્પણ કર્યું

*રાજ્યમંત્રીશ્રીએ રૂ. ૩૪.૩૧ કરોડના કુલ ૧૩ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના નાગરિકોએ સરકારમાં મુકેલા વિશ્વાસને વિકાસ થકી સરકારે સાચો ઠરાવ્યો – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર*

મહાનુભાવોએ વિવિધ ગ્રામ પંચાયતો ખાતે સ્વચ્છતા અભિયાનને વેગવંતો બનાવવા સફાઇના સાધનો સહિત ૨૪ ટ્રેક્ટર અને ૯ ઇ ટેમ્પોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

રાજ્યમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે આજે દાહોદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૧૪.૬૧ કરોડના ૪૫ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રૂ. ૩૪.૩૧ કરોડના કુલ ૧૩ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. ડો. ડીંડોરે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોએ સરકારમાં મુકેલા વિશ્વાસને વિકાસ થકી સરકારે સાચો ઠરાવ્યો છે. ડબલ એન્જીન સરકારે ગામે ગામ વિકાસ તેજ ગતિથી પહોંચાડ્યો છે.

        અહીંના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈએ જણાવ્યું કે, છેલ્લાં બે દાયકામાં રાજ્યનો વણથંભ્યો વિકાસ તેજ રફટરે જારી રહ્યો છે. સર્વે સંતુ નિરામયાની આપણી સંસ્કૃતિમાં રાજ્ય સરકાર સૌને સાથે લઈને આગળ વધી રહી છે. સૌનો સાથથી, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી રાજ્ય સરકાર કરવા કટિબદ્ધ છે. 

      રાજ્ય સરકારે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચતા કર્યા છે એમ ઉમેરતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષણ, આરોગ્ય, વીજળી, આવાસ જેવી પાયાની બાબતો સામાન્ય માનવી સુધી રાજ્ય સરકારે પહોંચતી કરી છે. કોરોનાના કપરા સમયમાં પણ સરકાર ગરીબો, વંચિતોની પડખે રહી છે. રાજ્ય સરકારે આ બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અદ્યતન સુવિધાઓ નાગરિકોને ભેટ ધરી છે. ગુજરાત દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. 

તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતુત્વમાં દેશને પારદર્શક વહીવટની ભેંટ મળી છે. ગરીબ માણસોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો જ તેમના બેન્ક ખાતામાં જમા થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ ગરીબ લાભાર્થીઓને સીધો લાભ મળે એ માટે ૪૬ કરોડ જેટલા જન ધન યોજના અંતર્ગત બેન્ક ખાતા ખોલાવ્યા છે. જેમાંથી ૨૩ કરોડ જેટલા બેન્ક ખાતા મહિલાઓના છે.

        તેમણે જણાવ્યું કે, સરકારની તમામ મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ લાભાર્થી નાગરિકોને સીધો જ નાગરિકોને તેમના ખાતામાં મળી રહ્યો છે. જેનાથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે અને લોકોને પારદર્શક વહીવટ પ્રાપ્ત થયો છે. સરકાર જે લાભ નાગરિકો સુધી પહોંચાડવા માંગે છે તે એક પણ પૈસો ઓછો થયા વિના પુરેપુરો લાભાર્થી ગરીબ લોકો સુધી પહોંચે છે. 

         જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના સક્ષમ નેતુત્વમાં ગુજરાત ડબલ એન્જીનના વેગે વિકાસ કરી રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ ગરીબ લોકો સુધી પહોંચતા અને વિકાસ કાર્યોના ફળ છેવાડાના માનવી સુધી પહોંચતા લોકોએ સરકારમાં મુકેલા વિશ્વાસ પર સરકાર ખરી ઉતરી છે તેમાં કોઈ બેમત નથી એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના જીવંત પ્રસારણને લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિવિધ ગ્રામ પંચાયતો ખાતે સ્વચ્છતા અભિયાનને વેગવંતો બનાવવા સફાઇના સાધનો સહિત ૨૪ ટ્રેક્ટર અને ૯ ઇ ટેમ્પોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સફાઇ માટેના વાહનો અને સાધનો અંદાજે રૂ. ૨ કરોડ માં ૧૫ માં નાણાપંચમાંથી ફાળવાયા છે.  

આ વેળાએ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સરતનભાઇ ચૌહાણ, કારોબારી અધ્યક્ષ શ્રી જિથરાભાઇ ડામોર, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા, અગ્રણી શ્રી શંકરભાઇ અમલીયાર, પ્રાંત અધિકારીશ્રી, દાહોદ સહિતના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા