ભાવનગરના ઘોઘા રોડ પર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય બાળકીનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય સાથે ટેલીફોનીક વાતચીત કરી આ ઘટનાની તટસ્થ તપાસ કરાવવા અને દુર્ઘટના પાછળ કોઈ માનવક્ષતિ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે પણ વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સાંજે સર્જાયેલાં આ દુઃખદ અકસ્માતમાં જે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે તેણીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.