સણોસરા પંથકમાં વરસાદની વધઘટ સાથે ખાસ આવરણ વ્યવસ્થા સાથેની થતી મરચાની ખેતી

ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તેવી પદ્ધતિ અપનાવતા કૃષ્ણપરાના ખેડૂતો

દિવસે દિવસે અવનવા સંશોધનો અને વિકાસની પ્રક્રિયામાં કૃષિક્ષેત્ર પણ જોડાયેલું જ છે. સણોસરા પંથકમાં વરસાદની વધઘટ સાથે ખાસ આવરણ વ્યવસ્થા સાથેની મરચાની ખેતી કૃષ્ણપરાના ખેડૂતો દ્વારા અપનાવાઈ રહી છે.

ખેતી પ્રધાન દેશમાં ખેતી માટે સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકમાં સારું ઉત્પાદન મળે તેમજ પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નો રહેલા છે, જે અભિગમમાં ખેડૂતો પણ જોડાતા રહ્યા છે.

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા પંથકને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો સારો લાભ મળ્યો છે, જ્યાં હવે કેન્દ્ર સરકારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ કાર્યરત થતાં ખેતીની અવનવી પદ્ધતિ અંગે માર્ગદર્શન મળી રહ્યું છે. ખેતીવાડી વિભાગના સિહોર તથા ભાવનગર કચેરીના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા પણ વિવિધ સહાય માર્ગદર્શન મળતાં ખેડૂતોને સારું પીઠબળ મળ્યું છે, જેથી આ વિસ્તારના કૃષ્ણપરા ગામે સુધારેલી ખેતીમાં ખેડૂતો જોડાયા છે તેમ અહીંના ઈશ્વરિયાના ખેડૂત શ્રી અભેશંગભાઈ પરમાર જણાવી રહ્યા છે.

કૃષ્ણપરાના ખેડૂત શ્રી હમીરભાઈ વાઘેલાએ મરચી પાક માટે ખાસ વરસાદ વધઘટ તેમજ મૂળના જરૂરી ભેજ માટે આવરણ સાથેની (મલચિંગ) ખેતી કરતાં ઓછા પાણી વડે પાક લઈ શકાશે. આ પ્રકારે મરચાની ખેતીથી પાક છોડના મૂળને જિવાંત કે અન્ય કેટલાક રોગ લાગવાથી બચાવી શકાય છે, તેમ તેઓ જણાવી રહ્યા છે.