સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી જમીન પર બનેલા ગેરકાયદેસર અને ગેરકાયદે તબેલાઓ હટાવવા અને રખડતા ઢોરોને પકડવા માટે ખૂબ જ આક્રમક છે. જેના કારણે શહેરનો માલધારી સમાજ ભારે નારાજ છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યો છે. સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં વાહનો સાથે મુગલીસરા ખાતે નગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. માલધારી સમાજે મેયરને મળવાનો આગ્રહ કર્યો હતો પરંતુ મેયર કોર્પોરેશનમાં હાજર ન હોવાથી તેમણે ડેપ્યુટી કમિશનરને અરજી કરી હતી. જેમાં તેમણે માંગણી કરી છે કે ડિમોલિશનની કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને ખોટી રીતે તબેલાઓ હટાવવાના આદેશો જારી કરવામાં આવ્યા હોય તે તાત્કાલિક બંધ કરવામાં આવે.

મેયરના બંગલાનો ઢોર સાથે ઘેરાવો કરીશું

 
માલધારી સેલના આગેવાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે અમે મેયરને મળવા માટે મહાનગરપાલિકા મોરચો લઈને આવ્યા હતા, પરંતુ મેયરને માલધારીઓની પડી જ ન હોય તેમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ડેપ્યુટી મેયર પણ હાજર ન હોવાથી અમે ડેપ્યુટી કમિશનરને અમારી લાગણી જણાવી છે. અમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તબેલાઓ હટાવવાની પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ તેના તમામ પશુઓ સાથે મેયરના બંગલાનો ઘેરાવ કરવા પહોંચશે.