ગુજરાતમાં આપ ના વધી રહેલા પ્રભાવ વચ્ચે સ્થાનિક ભાજપના સંગઠન અને સંકલન થી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો નિર્ધારિત કાર્યક્રમ ન હોવાછતા કમલમમાં તાકીદની બેઠક ગોઠવી તે વાત રાષ્ટ્રીય મીડિયામાં ચમકતા આખરે ભાજપ તરફથી ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ ચોખવટ કરવી પડી છે કે આ બેઠકમાં વડાપ્રધાન અચાનક નથી આવ્યા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અગ્રહને માન આપીને આવ્યા હતા અને તેઓ કોર કમિટીના સભ્યોને મળ્યા હતા

વાઘાણીનું કહેવું છે કે, આ બેઠકમાં પીએમ નારાજ ન હતા પણ ખુશ હતા અને હળવા ફૂલ વાતાવરણમાં વડાપ્રધાને પોતાના પાર્ટી અને સરકાર સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.
આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે વિકાસના એજન્ડાને ધ્યેય બનાવીને આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.
વાઘાણીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારના કાર્યો અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંગઠનના કામોનો ચિતાર વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યો હતો અને મોદીએ તેમની કામગીરીને બિરદાવી હતી. વડાપ્રધાને ગુજરાતમાં થયેલાં કાર્યોની સરાહના કરીને લોકોપયોગી કાર્યોનો સંદેશ તમામ પ્રજાજન સુધી પહોંચે તેવા પ્રયાસો કર્યા હોવાની ચોખવટ જીતુ વાઘાણીએ કરી હતી.