વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પીએમ મોદીએ રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા બાદ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ અમદાવાદની જનતાને આ નવી ભેટ આપી છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ બ્રિજની ડિઝાઈન પણ અદભૂત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પરના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ‘અટલ બ્રિજ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોન્ચ કરીને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 74 કરોડના ખર્ચે બનેલ ‘એન્જિનિયરિંગ વન્ડર’ જેવો આ ફૂટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રિયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફુટ ઓવર બ્રિજ લાંબા સમયથી નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યો છે.

સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચે બાંધવામાં આવેલો, આ પ્રતિષ્ઠિત ફૂટ ઓવર બ્રિજ રાહદારીઓ અને સાયકલ સવારોને કોઈપણ ટ્રાફિક વિના એક છેડેથી બીજા છેડા સુધી સરળતાથી જવા માટે મદદ કરશે. તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી અને સાબરમતી રિવરફ્રન્ટનો આનંદ કોઈપણ ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ પૂર્વ કિનારે પ્રદર્શન, સંસ્કૃતિ, કલા કેન્દ્રને સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝા સાથે જોડવામાં નિમિત્ત બનશે. રિવરફ્રન્ટના નીચલા અને ઉપરના માર્ગો દ્વારા પુલ પર પહોંચી શકાય છે.