ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ વિકાસના કામોનું ધોવાણ. એક તરફ વરસાદી ધરતી લીલુડી બની તો બીજી તરફ ભ્રષ્ટાચારની પોલ ખૂલી. જી, હા આવુ જ કંઇ જોવા મળી રહ્યુ છે ગુજરાતમાં. રોજબરોજ કરોડોના ખર્ચ બનાવેલા કાર્યોનું ધોવાણ થયુ હોવાનું સામે આવે. ત્યારે આવી ઘટના બની મહિસાગરમાં.

મહીસાગરમાં લુણવાડા-હાડોડ બ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો પરંતુ પાંચ મહિનામાં જ પોલી કામગીરી છતી થઇ. 18 કરોડના ખર્ચે બનાવેલો આ બ્રિજ એક બાજુથી નમી પડ્યો. નબળી કામગીરીને કારણે એક સાઇડનો આખો ભાગ જ બેસી ગયો. હજી તો પાંચ મહિના પહેલા જ હાઇલેવલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યાં જ પુલ બેસી જતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો. લુણાવાડાથી ગાંધીનગર અને અમદાવાદ જવા માટે પુલ બનાવાયો હતો. જો કે ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણો પુલનું રિપેરીંગ કામ શરૂ કરાયું છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ રોડ પરથી માલસામાન ભરેલા ટ્રકો સહિત ભારે વાહનો પસાર થાય છે તેવામાં જો પુલ બેસી જતા કોઇ અઘટિત ઘટના બનતી તો જવાબદાર કોણ ? આવો પોલો બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો ક્યાં ગયા ?

ત્યારે અહીં સવાલ એ થાય કે કોન્ટ્રાક્ટરોને કરોડોના રૂપિયે કામ તો આપી દેવાય છે પરંતુ કામગીરીની ગુણવત્તા જોવાનું કામ કોનું ? શું આંખ બંધ કરીને કરોડો રૂપિયા આપી દેવામાં આવે છે. આટલા બધા રૂપિયા આપવા છતાં પણ આવી નબળી કામગીરી કેમ ?