વડોદરા ભાજપમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો હોવાની વાતો હવે જોરશોરથી શરૂ થઈ છે અને આ બધા વચ્ચે જે રીતે વોર્ડ 16ના ભાજપના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના તરસાલી ખાતે યોજાનાર મટકી ફોડના કાર્યક્રમનો થયેલો વિરોધ વગરે ઘણું સુચવી જાય છે.

ઉશ્કેરાયા ટોળાએ હાથમાં લાકડીઓ લઈ ડિવાઈડર પર લાગેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરોને ફાડી નાખી હંગામો મચાવ્યો અને ટોળાએ દબાણ શાખાની ટીમને પણ ત્યાંથી ભગાડી મુકી તે જોતા ભાજપના જ નેતાઓની જૂથ બંધી હોવાની વાત ચર્ચામાં આવી છે

વડોદરા શહેરના તરસાલી સ્વામિનારાયણ મંદિર પાસે શનિવારે સવારે ફરાસખાનાની ટીમ પહોંચી ત્યારે ટોળુ ત્યાં ધસી ગયું અને મટકી ફોડ કાર્યક્રમ નહીં થવા દેવા મામલે હોબાળો કર્યો હતો,ટોળાએ ડિવાઇડર પર લગાવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરોને પણ ફાડી નાખી બબાલ કરી હતી.
જ્યારે આ ઘટના અંગેની જાણ સ્નેહલ પટેલને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મકરપુરા પોલીસ પણ સ્થળ ઉપર આવી બે યુવકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. અહીં બજરંગ દળ અને મહિલા કાઉન્સિલર સામસામે આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે પણ પોલીસે આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું સૂત્રો જણાવી રહયા છે.