વડોદરા મનપા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં 76 કાઉન્સિલરોમાંથી માત્ર 7 જ કાઉન્સિલરો જ હાજર રહેતા ભારે ચર્ચા ઉઠવા પામી છે.

દેશની આઝાદી માટે 1942માં થયેલી ઓગસ્ટ ક્રાંતિમાં અંગ્રેજોએ કરેલા ગોળીબારમાં શહીદ થયેલા વડોદરાના બે વીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને શ્રદ્ધાંજલિ આપવા મનપા દ્વારા
રાવપુરા કોઠી પોળના નાકે બનેલા વીર શહીદ સ્મારક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ76 કાઉન્સિલરોમાંથી માત્ર 7 જ કાઉન્સિલરો હાજર રહેતા તે વાત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર રીટાબેન સીંગ, છાયાબેન ખરાદી, જ્યોતિબેન પટેલ, સંગીતાબેન ચોકસી અને વિપક્ષી નેતા અમીબેન રાવત જ હાજર રહ્યાં હતાં.

મેયર અને નિમંત્રક સહિતના સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.
જોકે આ બધામાં મેયરે જણાવ્યું હતું કે, સવારે તેઓ વડોદરા બહાર હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા.
જ્યારે ગેરહાજર કાઉન્સિલર પોતાની નૈતિકતા ભૂલ્યા હોવાનું નગરના પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાતું હતું.