મુંદરાના ધ્રબ વિસ્તારમાં આવેલી અદાણી વિલ્મર કંપનીમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં વધતા તમાકુ, દારૂ અને અન્ય નશીલા પદાર્થોના વ્યસનથી ઊભી થતી ગંભીર આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં કર્મચારીઓને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝ સંસ્થાના સંયુક્ત પ્રયાસ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયોગ અને ધ્યાન દ્વારા માનસિક શક્તિ વધારી વ્યસનમુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત સાથે કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રતિનિધિઓએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે સંસ્થા વિશ્વભરમાં આધ્યાત્મિકતા, માનસિક શાંતિ અને માનવ કલ્યાણ માટે કાર્યરત છે.

કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝરે કર્મચારીઓને વ્યસનના આરોગ્ય પર પડતા ગંભીર પ્રભાવ વિશે વિગતવાર સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યસન માનવ શરીરને અંદરથી ખોખલું બનાવી દે છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થતાં અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. સાથે જ તેમણે રાજયોગ ધ્યાનને જીવનમાં અપનાવવાથી માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ પ્રાપ્ત થતું હોવાનું જણાવ્યું હતું.

બ્રહ્માકુમારી સુશીલા દીદીએ પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં સમજાવ્યું હતું કે જ્યારે વ્યક્તિ આત્મિક શક્તિ સાથે જોડાય છે ત્યારે તે નકારાત્મક આદતો અને વ્યસનો પર સરળતાથી જીત મેળવી શકે છે. તેમણે ઉપસ્થિત કર્મચારીઓને ધ્યાનની પ્રાયોગિક અનુભૂતિ કરાવી હતી, જેના કારણે સમગ્ર હોલમાં શાંતિમય અને સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વ્યસનમુક્તિ આધારિત નાટ્ય રજૂઆત રહી હતી. નાટક દ્વારા તમાકુ, સિગારેટ, દારૂ અને ડ્રગ્સ જેવી લતના કારણે વ્યક્તિ અને તેના પરિવાર પર પડતા આર્થિક, શારીરિક અને સામાજિક પ્રભાવોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ આ રજૂઆતને ખૂબ જ પ્રશંસા સાથે નિહાળી હતી.
કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર આયોજન દરમિયાન આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. અંતમાં પરમાત્માની સ્મૃતિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.