પાવીજેતપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી 

‘જય ભીમ’ના નારા સાથે સમગ્ર પાવીજેતપુર નગર આંબેડકરમય બન્યું: આતશબાજી અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

          પાવીજેતપુર સ્થિત આંબેડકર ચોક ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ નગરમાં મંગલમય વાતાવરણ જોવા મળ્યું હતું.

          સ્થાનિક ધારાશાસ્ત્રી લલિતચંદ્ર રોહિત અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ આંબેડકર ચોકને રંગબેરંગી ફૂલો અને સુશોભનથી સજાવવામાં આવ્યો હતો. ઉજવણીના પ્રારંભે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. નગરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ આંબેડકર ચોક ખાતે એકત્રિત થઈ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 'જય ભીમ'ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.

        આ પ્રસંગે વકીલ લલિતચંદ્રએ જણાવ્યું હતું કે, "બાબાસાહેબ આંબેડકરે બંધારણ દ્વારા દેશના દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યા છે. તેમનું જ્ઞાન અને શિક્ષણ વિશ્વ સ્તરે અજોડ છે. આપણે સૌએ તેમના વિચારો અને મૂલ્યોને જીવનમાં ઉતારી પ્રગતિના પંથે આગળ વધવું જોઈએ."

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પાવીજેતપુર પંથકમાં આંબેડકર જયંતીની ઉજવણી આસ્થા અને ઉમંગ સાથે સંપન્ન થઈ હતી. આ સમયે માજી તાલુકા પંચાયત પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા, પંચાયતના સભ્ય શ્રી ઈકબાલભાઈ રેંજર , તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.