પાવીજેતપુર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ માટે ૬૭૨ કર્મચારીઓને તાલીમબદ્ધ કરી વહીવટી તંત્ર સજ્જ
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાવીજેતપુર વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સંપન્ન થાય તે હેતુથી તાલુકા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
પાવીજેતપુર તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ, પાવીજેતપુર તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે રસાકસી જામનાર છે. આ લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે પ્રીસાઇડિંગ ઓફિસર ૨૧૨, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ૧૫૧, મહિલા પોલિંગ ઓફિસર ૩૦૯ મળી
કુલ ૬૭૨ જેટલા ચૂંટણી કર્મચારીઓને વિશેષ તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓને મતદાન મથક પરની કામગીરી, EVMનું સંચાલન અને મતદાનની પ્રક્રિયા દરમિયાન રાખવાની સાવચેતી અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પાવીજેતપુર તાલુકામાં કુલ ૧૨૯ મતદાન મથકો (બુથ) સ્થાપિત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, આ પૈકીના ૯ બુથોને ‘સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે એક પણ અતિ સંવેદનશીલ બુથ નથી. સંવેદનશીલ બુથોના વિસ્તારોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે. સામાન્ય બુથોની સરખામણીએ અહીં વધારાનો પોલીસ સ્ટાફ અને સુરક્ષા બળો તૈનાત કરવામાં આવનાર છે..
નાયબ કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કે ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે. કર્મચારીઓની તાલીમથી લઈને મતદાન મથકો પરની સુવિધાઓ સુધીનું આયોજન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે કે મતદારો કોઈપણ ભય વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
આમ, પાવીજેતપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૧૨૯ ગુથો માટે ૬૭૨ જેટલા કર્મચારીઓને તાલીમ આપી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.