પાવીજેતપુર APMCના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલની છોટાઉદેપુર જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ તરીકે વરણી
છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ના સફળ ચેરમેન જીતેન્દ્રભાઈ ફોગડભાઈ પટેલની છોટાઉદેપુર જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જીતેન્દ્રભાઈ પટેલ લાંબા સમયથી સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના પ્રશ્નો સાથે જોડાયેલા છે. APMC ના ચેરમેન તરીકેની તેમની કામગીરી અને ખેડૂતો પ્રત્યેની તેમની નિષ્ઠાને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમાચાર મળતા જ પાવીજેતપુર તાલુકા સહિત સમગ્ર જિલ્લાના ખેડૂત અગ્રણીઓ, સહકારી કાર્યકરો અને ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તેમની આ વરણીને વધાવતા મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે, જીતેન્દ્રભાઈની જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ તરીકેની વરણીથી જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને વધુ વેગ મળશે અને સંગઠન વધુ મજબૂત બનશે. પોતાની વરણી બદલ જીતેન્દ્રભાઈ પટેલે પક્ષના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોના હિત માટે કાર્ય કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.