મોબાઈલના યુગમાં બાળકોની અનોખી ઈબાદત: કલારાણીના બે ભૂલકાઓએ ૫ દિવસ 'એતેકાફ' કરી પ્રેરણા પૂરી પાડી
આજના ડિજિટલ યુગમાં જ્યારે નાની ઉંમરના બાળકો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયા પાછળ વિતાવતા હોય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામેથી ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ગામના બે નાના બાળકોએ પાંચ દિવસ સુધી મસ્જિદમાં 'એતેકાફ' (એકાંતમાં રહીને કરવામાં આવતી બંદગી)માં બેસીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામના રહેવાસી ખત્રી ઈબ્રાહિમ ઈરફાનભાઈ અને શેખ અયાન શબ્બીરહુશેન નામના બે બાળકોએ આ નાની ઉંમરે કઠિન ગણાતી ધાર્મિક વિધિ પૂર્ણ કરી છે. આ પાંચ દિવસ દરમિયાન બંને બાળકો મસ્જિદના પવિત્ર વાતાવરણમાં જ રહ્યા હતા. તેમણે દુન્યવી પ્રવૃત્તિઓથી દૂર રહીને સતત પાંચ વખતની નમાઝ અદા કરી, કુરાન શરીફનું પઠન કર્યું અને માનવજાતની ભલાઈ માટે દુઆઓ માંગી હતી.
બાળકોના આ સમર્પણને જોઈને ગામના વડીલો અને ગ્રામજનો ગદગદિત થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ ઉંમરે બાળકોમાં આવી ધાર્મિક સમજ અને શિસ્ત હોવી એ ગૌરવની વાત છે. આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો આ બાળકોને આશીર્વાદ આપી રહ્યા છે.
બાળકોના આ ધાર્મિક કાર્યથી તેમના માતા-પિતાએ ભારે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "બાળકોમાં નાની ઉંમરથી જ સારા સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. આજના ભૌતિકવાદી યુગમાં બાળકો ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તે જ સાચું ભાથું છે."
આ પ્રસંગ અન્ય બાળકો અને વાલીઓ માટે પણ એક પ્રેરણારૂપ કિસ્સો સાબિત થયો છે, જે દર્શાવે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર આપવામાં આવે તો નવી પેઢી પણ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધી શકે છે.
ફોટોલાઇન : પાવીજેતપુર તાલુકાના કલારાણીના બે ભૂલકાઓએ ૫ દિવસ મસ્જિદમાં 'એતેકાફ' માં બેસી ખુદાની બંદગી કરી હતી.