થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં રોડની બાજુમાં નાળાની પ્રોટેક્શન વોલના પાયાની કામગીરી દરમિયાન કામ કરી રહેલા 3 મહિલા મજૂરો અને 2 વર્ષના માસૂમ બાળક પર અચાનક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં તેઓ માટી નીચે દટાઈ ગયા હતા. માટીમાં દટાઈ ગયા હોવાથી તુરંત જેસીબી મશીનથી તેમને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ કામગીરીમાં વિલંબ થતાં માટીના ભર હેઠલ દટાઈ ગયેલા તમામ ચારના મોત નીપજ્યા છે. તમામ મૃતકો દાહોદના ઝાલોદ ગામના હતા. શનિવારે સાંજે 4:30 વાગ્યે બનેલી ઘટનામાં એક કલાક બચાવ અને રેસ્ક્યુ કામ ચાલ્યું પણ મહિલા મજૂરો અને બાળકને બચાવી ન શકાયા.
થરાદથી 30 કિલોમીટર દૂર ખેગારપુરા ગામમાં પાછલા દસ દિવસથી રોડની બાજુમાં નાળાંની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન જ માટી ભરેલું હાઈવા અચાનક નીચે ઉથલી પડ્યું હતું. મજૂરોએ તુરંત બચાવ કામગીરી માટે ગામમાં ગયા. ત્યાં જેસીબી હતું લાવવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ સાથે થરાદ ડીવાયએસપી, પીઆઇ સહિત પોલીસ પણ પહોંચી ગઈ હતી.
માટી નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પણ એક કલાક જેટલો સમય થઈ જવાથી ચારેના મોત નીપજી ગયા હતા. ડ્રાઇવર પ્રવીણભાઈ જયમલ ભાઈ વણકર રહે ગામ પાવડાસણ તા.થરાદ અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક એસ. એમ.વારોતરીયા જણાવ્યું હતું કે, આજે સાડા ચાર વાગ્યાની આસપાસ ખેગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલું હતું. ત્યા લોકો રોડની દીવાલ બનાવવા માટે માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ત્યાથી રેતી ભરેલું હાઈવા નીકળેલું. ત્યા વળાક પર ટ્રક વાળાએ ધ્યાન આપેલું નહીં, ત્યાથી નીકળવા જેટલી જગ્યા ન હતી છતા તેમણે ત્યાથી ટ્રક બેદરકારી પૂર્વક કાઢવા જતા હાઈવા પલટી મારી ગયું. અને રેતી ભરેલા હાઈવા નીચે 3 સ્ત્રીઓ અને એક બાળક દબાઈ જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં જેની બેદરકારી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કમનસીબ મૃતકો
- ઇલાબેન ભાભોર
- રેણુકાબેન રોહીતભાઇ (ઉં.વ.આ. 25)
- સોનલબેન જયદીપભાઇ (ઉં.વ.આ. 24)
- રૂદ્રભાઇ રોહીતભાઇ (ઉં.વ.આ. 2 )