૨૫ લાખ મુસાફરોને પ્રતિદિન પ્રવાસ કરાવતી એસ.ટી. સામાન્ય નાગરિકો માટે પ્રવાસની જીવાદોરી: કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી
અમરેલી, તા.૧૬ ઓગસ્ટ, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા માર્ગ મકાન-વાહન વ્યવહાર કેબિનેટ મંત્રીશ્રી શ્રી પૂર્ણેશ ભાઈ મોદીના હસ્તે આજે કુકાવાવ ખાતે બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે બસોના રૂટમાં તેમજ વાહનની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેઓશ્રીએ જણાવ્યું કે. જેવી રીતે મુંબઈના પરામાં અપ-ડાઉન માટે લોકલ ટ્રેન કાર્ય કરે છે તેમ એસ.ટી રાજ્યના સામાન્ય માનવી માટે જીવાદોરી છે. એસ.ટી.માં પ્રતિદિન ૨૫ લાખ મુસાફરો પ્રવાસ કરે છે અને કુલ ૮૦૦૦ ટ્રીપ કાર્યરત છે. લોકડાઉન અને કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન બંધ થયેલા તમામ રૂટો અને એ સિવાયના નવા રૂટો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે આ કડીના ભાગરૂપે નાગરિકોની સુવિધા માટે આજે અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે એસ.ટી. બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે આ વિસ્તારોના નાગરિકોની સુવિધામાં ઉમેરો કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષા રેખાબેન મોવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વી બેન સોરઠીયા, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી, સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી