રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમનાં સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધાંગધ્રા તાલુકાના ગંજેડા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ, જયપુરના નિયામક ડો. સુભાષ ચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમન સિંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી-કાર્યપાલક ઈજનેર શ્રી સૌરવ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી.તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા ક્યાં પાકોના વાવેતર થાય છે?, ક્યાં-ક્યાં પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે?, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે?, બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે? સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન શિરોયા, ધાંગધ્રા મામલતદાર, ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ - કર્મચારીઓ, આત્મા ડાયરેકટર ભરત પટેલ, પી.જી.વી.સી.એલ. વિભાગ સહીત સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લેતા ઇન્ટર મીનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_087d6ce983e91a559bed9c0d456d6311.jpg)