પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે રવિવારે વહેલી સવારે ખેતરમાં શૌચક્રિયા માટે ગયેલા દંપતીનું ઝાટકા મશીનના તારથી વીજકરંટ લાગતાં મોત થયું હતું. આ અંગે પોલીસ મથક કે વીજ કંપનીમાં કોઇ જાણ કરવામાં આવી નથી.

 પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે ખેતર ફરતે ઝાટકા મશીનના જુના તારમાં પ્રસરેલા કરંટથી દંપતીનું મોત થયું હતુ. આ અંગે ગામના સરપંચ રામજીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પશુપાલનના વ્યવ્સાયથી સંકળાયેલા માનજીભાઇ રાજસંગભાઇ જુડાલ અને તેમના પત્ની ભીખીબેન રવિવારે વહેલી સવારે તેમના ખેતરમાં પશુઓ દોહવા માટે ગયા હતા. દરમિયાન શૌચક્રિયા કરવા જતી વખતે અંધારામાં ખેતર ફરતે લગાવેલા ઝટકા મશીનના તારમાં પ્રસરેલા કરંટથી એક બીજાને બચાવવા જતાં બંનેના મોત થયા હતા.

આ દરમિયાન 15 થી 20 મિનિટ પછી તેમના ભાઇ આવ્યા ત્યારે ખેતરમાં ભાઇ ભાભીને ન જોતા શોધખોળ કરી હતી. જ્યાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, તારમાં વીજ કરંટ કેવી રીતે પ્રસર્યો તે જાણી શકાયું નથી. વર્તમાન સમયે વીજ થાંભલા ઉપર વેલા વિંટળાયેલા જોવા મળે છે. તેમાંથી અર્થિંગના કારણે કરંટ ઉતર્યો હોય તેવું પણ બની શકે છે.

આ અંગે પોલીસ મથક કે વીજ કંપનીને જાણ કરવામાં આવી નથી. માનજીભાઇ અને ભીખીબેનના પરિવારમાં બે પુત્રો છે. જેમાં એક પુત્ર શિક્ષક છે. જ્યારે બીજો પુત્ર ડેરીમાં ફરજ બજાવે છે. માતા-પિતાના મોતથી બંને ભાઈ નોંધારા બન્યા છે.