અમીરગઢ નજીક બે દિવસ અગાઉ બે બાઇક સામસામે અથડાતાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું રવિવારે મોત થયું હતું. અકસ્માતની કરૂણંતિકા તો એ છેકે, યુવકના ઘરે સપ્તાહ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો. પિતાના મોતથી પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

અમીરગઢના કિરણજી ઠાકોર ચેકપોસ્ટ નજીક રિસોર્ટમાં નોકરી કરતાં હતા. સામાજીક રીતે ખુબ જ સક્રિય રહી કોઇ વ્યકિતને લોહીની જરૂર પડે તો તુરંત જાતે જઇ બ્લડની વ્યવસ્થા કરતાં હતા. તેઓ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બનાસકાંઠા બ્લડ કમિટીના સભ્ય પણ હતા. દરમિયાન બે દિવસ અગાઉ અમીરગઢ નજીક બે બાઇક સામસામે અથડાયા હતા. જેમાં કિરણજીને ગંભીર ઇજા થઇ હતી. જેમનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું.

કરૂણંતિકા તો એ છે કે, તેમની પત્નીએ સપ્તાહ અગાઉ જ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, પિતાનું મોત થતાં પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં મિત્રો સહિત સમાજના અગ્રણીઓએ શ્રધ્ધાંજલિ અર્પી હતી.