અમદાવાદના ચાર મિત્રો ગળતેશ્વરમાં ડૂબ્યા,ત્રણના મૃતદેહો સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા, એકનો જીવ બચાવાયો

 અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યાં હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં ન્હાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

(અહેવાલ મુકેશ ચુનારા અમદાવાદઃ)

ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીકની મહિસાગર નદી એટલે પીકનીક પોઈન્ટ ગણાઈ છે. ત્યારે ગતરોજ રવિવારે અમદાવાદથી આવેલા 9 લોકો પૈકી કેટલાક મિત્રો ગળતેશ્વર નદીના ન્હાવા ઉતરતા ડૂબ્યા હોવાની ઘટના બની છે. જે પૈકી એકનો મૃતદેહ રવિવારે તો અન્ય બેના મૃતદેહ આજે મળી આવ્યા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા 9 જેટલા મિત્રોનું ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં આવ્યું હતું. આ દરમિયાન આ ગ્રુપના કેટલાક સભ્યો ગળતેશ્વર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જે પૈકી ગ્રૂપનો એક સભ્ય મહીસાગર નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો. જ્યારે ગતરોજ એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પાણીમાં લાપતા બનેલા અન્ય બે ના મૃતદેહો પણ આજે મળી આવ્યા હતા. જે ત્રણેય લોકોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. સેવાલીયા પોલીસે બનાવ સ્થળે દોડી આવી તમામના મૃતદેહને પીએમ અર્થે રવાના કર્યા છે.પોલીસે કિરીટ ચાવડા (રહે.સુખીની મુવાડી, ગળતેશ્વર)ની જાણના આધારે અપમૃત્યુની નોધ કરી છે. પોલીસ તપાસમાં ગતરોજ જેનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ નહોતી. જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ આજે મળી આવતાં પોલીસે તેઓની ઓળખ કરતા મરણજનાર હિતેશભાઈ મહેશભાઈ ચાવડા (ઉ.વ.39, રહે.ખોખરા, અમદાવાદ) અને અન્ય સુનિલ કુશવાહ (રહે.વટવા, અમદાવાદ) હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ હજુ બાકી છે. આ તમામ મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.