વઢવાણ તાલુકાના બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને નીચે ઉતારી તેનું પીએમ કરાવી ગાંધી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપ્યો હતો. આ બનાવમાં મૃતકના હાથે એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ ત્યારે આ પુરૂષ અંગે તેના વાલીવારસની સહિતની માહિતી મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં અવવારૂ સહિતની જગ્યાઓ પરથી મૃતદેહો મળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં નાની કેનાલ પાસે બજરંગપુરાના કરશનભાઈ ગાંડાભાઈ ચાવડાના ખેતરે પૂર્વ દિશામાં ખેતરના શેઢે ગત તા. 13-4-2024ના રોજ લીમડાના ઝાડની ડાળી સાથે મૃતદેહ લટકતો હોવાની વિગતો બહાર આવી હતી.આથી આ ઘટના અંગે કરશનભાઈ ચાવડાએ વઢવાણ પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે હેડકોન્સ્ટેબલ આર.ડી.ચૌહાણ સહિતની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ કરતા અંદાજે 40 વર્ષનો હોવાનું તેમજ મૃતકના હાથ ઉપર એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ.મૃતકની લાશનું પીએમ કરાવીને હાલ તો બે-ત્રણ દિવસ માટે ગાંધી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. બીજી તરફ આ મૃતકના કોઇ વાલીવારસ સહિતની કોઇને વિગતો મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ. જ્યારે સમગ્ર બનાવની તપાસ આર.ડી.ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહી છે.