થાન તાલુકાના અમરાપર ગામે બાઇક ચલાવવા બાબતે બોલાચાલી બાદ ૪ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરવાનો બનાવ બનતા ઇજાગ્રસ્ત યુવાને ૪ વ્યક્તિઓ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાન તાલુકાના અમરાપર ગામે રહેતા સાગરભાઇ અરજણભાઇ ધોરીયા બાઇક લઇ ગામમાં આવેલી દુકાને જઇ રહ્યાં હતા તે દરમિયાન પાણીના ટાંકા પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા બાઇક લઇને આવ્યા હતા .અને બાઇક ઉભુ રાખી સાગરભાઇને લાફો ઝીંકી દઇ ધક્કો મારી નીચે પાડી દીધા હતા આથી દેકારો થતાં કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને ચારેય શખ્સોએ સાથે મળી લોંખડના પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો. મારામારીના બનાવને લઇને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા તેમજ સાગરભાઇના પરિવારજનો પણ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત સાગરભાઇને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સાગરભાઇએ થાન પોલીસ મથકે કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા, ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.