ઝાલાવાડમાં મહા અભિયાન સૂર્યનમસ્કારમાં હવે દીકરીઓ આગળ આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના મંજુલા ક્ધયા વિદ્યાલય માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠની 200 જેટલી દીકરીએ સૂર્ય નમસ્કારનો પ્રારંભ કર્યો હતો. આ દીકરીઓ એક માસ સુધી દરરોજ 6.30થી 7.30 કલાક સુધી યોગ કરશે. 1 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી 2024 સુધી જિલ્લામાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન હાથ ધરાયું છે. જેના કારણે સુરેન્દ્રનગર સહિત જિલ્લાના 545 ગામડામાં પણ સૂર્ય નમસ્કાર સ્પર્ધાના શ્રીગણેશ થશે.ત્યારે આ મહા અભિયાનમાં ઝાલાવાડની દીકરીઓ આગળ આવી રહી છે. અને યોગથી સ્વાસ્થ્ય તંદુરસ્ત, પ્રફુલ્લીત તેમજ જીવનભર ઉપયોગી બની રહે તેવી દિશામાં જોડાઇ ગઇ છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના મંજુલા ક્ધયા વિદ્યાલય માનવ મંદિર મૈત્રી વિદ્યાપીઠની 200 જેટલી વિદ્યાર્થિની સૂર્ય નમસ્કારમાં જોડાઇ હતી. આ દીકરીઓને જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા યોગ કરાવીને યોગ વિશેની સમજણ અને તેના ફાયદાઓ સહિતની માહિતી આપવામાં આવી રહી છે. આ દીકરીઓ 1 માસ સુધી સવારે 6.30થી 7.30 કલાક દરમિયાન યોગ કરશે. યોગ પ્રસંગે ડો.જયશ્રીબેન દેસાઇ, પ્રિન્સિપાલ સોનલબેન કલોત્રા સહિતના લોકો ઉપસ્થિત રહીને દીકરીઓની યોગ પ્રત્યેની મહેનતને બિરદાવી હતી.જિલ્લામાં શરૂ થયેલા આ મહાઅભિયાનમાં લોકોના રજિસ્ટ્રેશનનો પણ ધમધમાટ શરૂ થઇ ગયો છે. અને તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરેન્દ્રનગર દ્વારા જુદી જુદી ટીમે પણ બનાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સૂર્યનમસ્કારની સ્પર્ધા માટે 10,000 જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવશે. જેના માટે ટીમો પણ કામે લાગી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈએ જણાવ્યું કે, આ સ્પર્ધાની જુદી જુદી ત્રણ પ્રકારની કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં 9થી 18 વર્ષના, 19થી 43 વર્ષના લોકો ભાગ લઇ શકે છે. આ ઉપરાંત ત્રીજી કેટેગરીમાં 43થી ઉપરની ઉંમર ધરાવતા લોકો પણ ભાગ લઇ શકશે. આમ 9થી લઇને 99 વર્ષ સુધીના લોકો સૂર્ય નસ્કાર સ્પર્ધામાં જોડાઇ શકશે.