ડીસાના ફૂલ માર્કેટમાં અત્યારે મંદિનો મહોલ છવાયો છે. બિપરજોય વાવાઝોડું અને ચોમાસામાં વરસાદ ખેંચાતા આ વખતે ફૂલોની ઉપજ ઓછી થતા ભાવમાં વધારો થયો છે જેના કારણે તહેવારો ટાણે જ હવે ફૂલ માર્કેટમાં તેજીને બદલે મંદીનો માહોલ છવાયો છે.

દર વર્ષે નવરાત્રીની શરૂઆત સાથે જ ફુલ માર્કેટમાં પણ તેજી જોવા મળતી હતી પરંતુ આ વખતે નવરાત્રીની શરૂઆત સાથે જ ફુલ બજારમાં મંદી છવાઈ ગઈ છે કારણ કે આ વર્ષે બીપરજોય વાવાઝોડાનેની અસર ફૂલોની ખેતી પર પણ થઈ છે. વાવાઝોડાના કારણે અનેક ખેતરોમાં ફૂલોના છોડ નાશ પામ્યા હતા, ત્યારબાદ ચોમાસામાં પણ વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચાવાના કારણે પણ ફૂલોની ખેતી પર તેની સીધી અસર જોવા મળી હતી. આમ વાવાઝોડું અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ફૂલોની ઉપજ ખૂબ જ ઓછી થઈ છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે 40 થી 50 ટકા જેટલા ફૂલોની ઉપજ ઓછી થઈ છે જેથી ફૂલોના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.

 ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે હોલસેલમાં ફૂલોના ભાવ દોઢ ગણા વધ્યા છે. ગુલાબના ફૂલ હોલસેલમાં રૂ. 100 આસપાસ મળતા હતા તે અત્યારે 150 રૂપિયે મળે છે જ્યારે સૌથી વધુ પીડા ગલગોટાની માંગ હોય છે તેમાં પણ ગત વર્ષે જે ગલગોટાનો હોલસેલમાં કિલોએ 40 રૂપિયા હતો તેમાં આ વર્ષે 60 થી 70 રૂપિયાનો ભાવ વધી ગયો છે.

ફૂલોના ભાવમાં વધારો થતા તેની સીધી અસર ગ્રાહકો પર પણ જોવા મળી રહે છે અને ગ્રાહકો હવે ફૂલોની ખરીદીમાં પણ કંજુસાઈ બતાવી રહ્યા છે અને નવરાત્રીમાં સૌથી વધુ ફૂલોની માંગ હોય છે પરંતુ આ વર્ષે નવરાત્રીમાંજ ભક્તો માતાજીને ફૂલ ચડાવવામાં પણ કરકસર કરી રહ્યા છે.

આ અંગે ફૂલોના વેપારી પ્રવીણભાઈ માળી અને ગ્રાહક મહેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ વરસાદ ખેંચતા ફૂલોનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે જેના કારણે ફૂલોમાં દોઢ ઘણો ભાવ વધારો થઈ ગયો છે જેની અસર ગ્રાહકો ઉપર પણ પડી છે.

ફૂલ માર્કેટમાં ખાસ કરીને નવરાત્રી અને દિવાળીમાં સીઝન હોય છે અને વેપારીઓ પણ આ સિઝનની આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વર્ષે તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ ફુલ માર્કેટમાં મંદીનો માહોલ છવાયો છે તેવામાં હવે વેપારીઓ ફૂલ માર્કેટમાં તેજી આવે અને વેપારીઓની દિવાળી સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.