ખોરંભે પડેલ જનતા ડાયવર્ઝનની પાવીજેતપુરના સિહોદ પુલની બાજુમાંથી જ કામગીરી શરૂ

          પાવીજેતપુર નજીક આવેલ સિહોદ પુલ પાસેથી જ નવા જનતા ડાયવર્ઝનની કામગીરી શરૂ થઈ જતા છોટાઉદેપુર જિલ્લાની જનતામાં આનંદની લહર પ્રસરી જવા પામી છે. 

            પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં મોટીરાસલી થી સિથોલ વચ્ચે જનતા ડ્રાઇવરજન બનાવવામાં સિથોલ ના કેટલાક રહીશોએ વિરોધ નોંધાવતા જનતા ડાયવર્ઝનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને પડતી તકલીફોને ધ્યાને લઈ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોટું શાહ, રાસલીના સરપંચ લાલુભાઇ રાઠવા, સિહોદ ના સરપંચ અજયભાઈ રાઠવા ની ટીમે સક્રિય થઈ સિહોદ પુલની બાજુમાંથી જ નવીન જનતા ડાયવર્ઝન બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. 

           પાવીજેતપુર તરફથી આવતા સિંહોદ પુલની ડાબી બાજુથી નવીન ડાયવર્ઝન બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ કામગીરી ચાલુ કરવામાં શિહોદ ગામે રસિકભાઈ ધીરુભાઈ રાઠવાની ( સર્વે નંબર ૯ ) જમીન આવતી હોય તેઓને ધારાસભ્ય રાજુભાઈ રાઠવા તેમજ આ ત્રણેય સરપંચોની ટીમ રૂબરૂ મુલાકાત કરી જમીન માલિકને સમજાવીને નવીન જનતા ડાયવર્ઝનની કામગીરી આરંભી દેવામાં આવી છે. સ્વાભાવિક રીતે જ જનતા ડાયવર્ઝનની કામગીરી શરૂ થતા ની સાથે જ છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય પ્રદેશના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ જનતા ડાયવર્ઝન ૩૨ ફૂટ જેટલું પહોળું બનનાર હોય તેમજ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટેનું પૂર્વ આયોજન કરવામાં આવનાર છે. જનતા ડાયવર્ઝન બનાવનારો ઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં આ જનતા ડાયવર્ઝન શરૂ થઈ જાય તેવું ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. 

          તંત્ર દ્વારા રેલવે તથા રોડના પુલ ની વચ્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવનાર છે. એ ડાયવર્ઝન અસ્તિત્વમાં આવે ત્યાં સુધી બે થી ત્રણ માસ માટે જે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે તે ખરેખર ખૂબ જ આ વિસ્તારની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થનાર છે. જનતા ડાયવર્ઝનની કામગીરીમાં લોકો સામેથી પોતાના ટ્રેક્ટરો, પેટ્રોલ પંપ વાળા ડીઝલ તેમજ છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજુભાઈ રાઠવા એ પાઇપો પથ્થરોની જોગવાઈ કરી કામગીરી આરંભી દેવામાં આવી છે. આ જનતા ડાયવર્ઝનની કામગીરીમાં જોડાયેલ તમામે તમામને છોટાઉદેપુર જિલ્લાની જનતાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે. 

         આમ, શીથોલ ગામના કેટલાક રહીશોના વિરોધના કારણે અટકી ગયેલ જનતા ડાયવર્ઝન ને સિહોદના પુલ પાસેથી જ નવીન જનતા ડાયવર્ઝન બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહની લહર જોવા મળી રહી છે.