પાવીજેતપુર થી રંગલી ચોકડી ડાયવર્ઝન ઉપર ચુડેલ નું નાળું બેસી જતા ભારદારી વાહનો બંધ

           પાવીજેતપુર થી રંગલી ચોકડી થઈ આપેલ ડાયવર્ઝન ઉપર ચુડેલ ગામે નાળુ બેસી જતા ભારદારી વાહનોને પસાર થવાનું બંધ બંધ કરાવી દેવામાં આવ્યું છે. 

             પાવીજેતપુર નજીક ભારજ નદીના પુલ ઉપર સેટલમેન્ટ થવાના કારણે રસ્તો બંધ કરી વન કુટીર થી રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન ઉપરથી ભારદારી વાહનો પસાર થતાં ચુડેલ નજીક આવેલ નાળું બેસી જતા વન કુટીર ઉપર તેમજ રંગલી ચોકડી ઉપર બેરીકેટ મૂકી ભારદારી વાહનોને આ રસ્તા ઉપર થી પસાર થવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જ આ રસ્તા ઉપર થી ભારદારી વાહનો ની અવરજવર ખૂબ વધી જવાના કારણે આ રસ્તો સાવ ખખડધજ થઈ જવા પામ્યો છે. ડાયવર્ઝન ઉપર ઠેર ઠેર રસ્તો બેસી ગયો છે તેમજ ચુડેલ નું નાળું બેસી જવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક નોંધ લઈ ભારધારી વાહનોને વન કુટીરથી રંગલી ચોકડી તેમજ રંગલી ચોકડી થી વન કુટીર તરફ જવા આવવાની રોક લગાવી દેવામાં આવી છે. 

           દોઢ માસ જેટલો સમય ભારજ નદીના પુલ ને બેસી જવાને થયો હોય છતાં આ કેમ બેસી ગયો ? આની ઉપરથી લાઈટ વ્હિકલો પસાર કરી શકાય કે નહીં ? આવા મહત્વના સવાલોના જવાબો હજુ સુધી શોધી શકાયા નથી. લોડ આપી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકાય નથી. સિથોલ, સિહોદ અને મોટી રાસલીના યુવાનો દ્વારા નદીના પટમાં કામ ચલાઉ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે જે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે તેમજ પાવીજેતપુર પોલીસ દ્વારા બંને છેડા ઉપર પોલીસના સ્ટાફ મૂકી ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં આવે છે તેના કારણે લાઇટ વ્હીકલ વાળાઓ આ રસ્તા ઉપરથી પસાર થઈ શકે છે અને ટ્રાફિકની સમસ્યા થતી નથી. ખરેખર આ પુલ બેસી જવાને દોઢ માસ થયા પછી પણ કોઈ નક્કર નિર્ણય લઈ શકાયો નથી. જો ગામડાના યુવાનો નિર્ધાર કરે તો નદીના પટમાં પણ રસ્તો બનાવી શકે તો શું તંત્ર ઓલવેધર ડાયવર્ઝન ન બનાવી શકે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. તો તંત્ર હલકા વજનવાળા તેમજ ભારદારી વજનવાળા વાહનો માટે યોગ્ય નિર્ણય લે તેમ જનતા ઇચ્છવી રહી છે. તેમજ બંધ થઈ ગયેલા રસ્તા નું કોઈક યોગ્ય મજબૂત વિકલ્પ તૈયાર કરે તે સમગ્ર છોટાઉદેપુર સહિત મધ્યપ્રદેશની જનતાની બુલંદ માંગ ઉઠી રહી છે.