PATAN // ચડોતર પાસે 3 કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો..
મોતીભાઈ દેસાઈ (જી એક્સપ્રેસ ન્યૂઝ પાટણ)
મંગળવારે સાંજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કરોડો રૂપિયાના દાગીનાની થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલાઈ ગયો છે, અમદાવાદના સીજી રોડ પર આવેલી ઋષભ જ્વેલર્સ ના કર્મચારીને બનાસકાંઠા જિલ્લામાં લૂંટના ગુનાને અંજામ આપી ફરાર થયેલા 6 લૂંટારાને નાકાબંધી કરી પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા, પાટણ પોલીસે લૂંટમાં ગયેલા 3 કરોડ રૂપિયાના 3 કિલો દાગીના પણ કબજે કર્યા છે, આરોપીઓ લૂંટને અંજામ આપવા માટે છેલ્લા બે મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે..
અમદાવાદની ઋષભ જ્વેલર્સના કર્મચારીઓ મંગળવારે કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ બનાસકાંઠા જિલ્લામાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા, ફરિયાદી અશોક દેસાઈ સહિત ત્રણ કર્મચારી કરોડો રૂપિયાના દાગીના કારની સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાં રાખ્યા હતા, ત્યાર બાદ અમદાવાદ થી પાલનપુર અને પાલનપુર થી ડીસા ગયા હતા, જ્યાં અલગ અલગ જ્વેલર્સ ની મુલાકાત લીધી હતી. સાંજ પડતાં જ કર્મચારીઓ ડીસા થી અમદાવાદ પરત આવવા નીકળ્યા હતા, કર્મચારીઓ પોતાની કાર લઈ પાલનપુર ના ચડોતર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલી એક કોરોલા કારે ઓવરટેક કરી તેમની કારની આડે નાખી દીધી હતી, તેમાંથી ચાર શખસ ઊતર્યા હતા અને પોતાની સાથે બોલાચાલી કરી કારની અંદર ઘૂસી ગયા હતા..
ચારેય લૂંટારાએ છરા બતાવી દાગીના લૂંટી લીધા બે લૂંટારા પાછળની સીટ પર જ્યારે એક લૂંટારુ આગળની સીટ પર અને અન્ય એક લૂંટારો કાર ચલાવવા લાગ્યો હતો, ચાલુ કારે જ લૂંટારાઓ એ છરા કાઢ્યા હતા અને કર્મચારીઓ ને કહ્યું હતું કે તમારી પાસે જે દાગીના છે એ અમને આપી દો, પરંતુ દાગીના ચોરખાનામાં પડ્યા હોવાના કારણે કર્મચારીઓ કંઈ ન હોવાની વાત કરી હતી, જેથી લૂંટારાઓ એ કહ્યું હતું કે એકને મારીને ફેંકી દેવો પડશે, જેથી ભોગ બનનાર કર્મચારીઓ ડરી ગયા હતા અને બે ચોર ખાના પૈકીના એક ચોર ખાનામાં રહેલા 3 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટારાઓએ કાઢી લીધા હતા, જ્યારે અન્ય એક ખાનામાં રહેલા દાગીના ત્યાં જ પડ્યા રહ્યા હતા. ત્યાર બાદ લૂંટારાઓ એ તમામ કર્મચારીઓ પાસેથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા અને તેમની જે કોરોલા કાર હતી એમાં બેસી ફરાર થઈ ગયા હતા..
અશોક દેસાઈ સહિત ના કર્મચારીઓ પાસે રહેલા દાગીના અને મોબાઈલની લૂંટ થતાં એક રાહદારીને રોકી તેમના મોબાઈલ માંથી પોતાના શેઠને લૂંટ અંગે જાણ કરી હતી, ત્યાર બાદ બનાસકાંઠા પોલીસ ને સંપર્ક કરવામાં આવ્યો હતો, પોલીસે ગુનાની ગંભીરતાને જોતાં તરત જ જિલ્લામાં નાકાબંધી કરી હતી અને પાડોશી જિલ્લાની પોલીસ ને પણ એલર્ટ કરવામાં આવી હતી..
બનાસકાંઠા પોલીસ તરફ થી લૂંટની માહિતી મળતાં પાટણ પોલીસ એલર્ટ બની હતી, અને જિલ્લાના રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી, લૂંટારાઓ ની કોરોલા ગાડી અંગે માહિતી મળતાં પાટણ પોલીસે કારની માહિતી તપાસ કરાવતાં વદાણી ખાતે એમ.ડી. ઓટોવાળા એ એક કોરોલા ગાડી GJ-24-AQ-6341ની ચૌધરી રોહિત દેવરાજ ભાઈ ને વેચાણ આપી હતી, આ ગાડી બાબતે તપાસ કરતાં રોડા ગામમાં ચૌધરી રોહિત દેવરાજ ભાઈ ની તપાસ કરતાં તે ઘરે હાજર મળ્યા નહીં, ત્યાર બાદ પોલીસે હ્યુમન અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવતાં હારીજ તાલુકાના રોડા અને કાતરા, સમીના પાલીપુર, સરસ્વતી ના કિમ્બુવા અને એંદલામાંથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ, કાર, ચપ્પુ અને આરોપીઓ મળી આવ્યા હતાં..
સાગર રબારી બે મહિના પહેલાં ઋષભ જ્વેલર્સ માં નોકરી કરતો હતો કરોડો રૂપિયાના દાગીના ની લૂંટ માટે ઋષભ જ્વેલર્સ ના ભૂતપૂર્વ કર્મચારીએ જ ટિપ આપી હોવાનું બહાર આવ્યું છે, સાગર રબારી નામનો આરોપીએ બે મહિના પહેલાં ઋષભ જ્વેલર્સ માંથી નોકરી છોડી દીધી હતી, પેઢીના સેલ્સમેન કઈ રીતે કેટલા દાગીના લઈને વેચાણ માટે જતા હોય એ બાબત ની તેને જાણકારી હતી, નોકરી છોડ્યા બાદ સાગરે અન્ય આરોપીઓ સાથે મળી લૂંટ નું પ્લાનિંગ શરૂ કર્યું હતું, મુખ્ય ટિપ આપનાર સાગર રબારી હાલ ફરાર હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે..
લૂંટના ગુના મામલે ઝડપાયેલા આરોપીઓ નાં નામ :
રબારી કમલેશ મોહનભાઈ, (મુખ્ય સૂત્રધાર)
ચૌધરી રોહિતભાઈ દેવરાજભાઈ
જોષી વિપુલ દેવચંદભાઈ
ગોહિલ રમેશ શંકરલાલ
દેસાઈ આનંદ ઉર્ફે દેવજી ભલાભાઈ
હિતેષ કનુભાઈ વઢેર
લૂંટના ગુનામાં ફરાર આરોપીઓ ના નામ :
રબારી સાગરભાઈ રેવાભાઈ
રબારી સુરેશભાઈ અમરતભાઈ