સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ બનાવવાના મામલે ઉગ્ર વિવાદ ઉભો થયો છે. જેમાં અનેક સાધુ સંતો અને હિન્દુ સંગઠનો પણ આ ભીંતચિત્રનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે આ મામલે કોઈપણ પ્રકારનું આંદોલન કરવાનો નનૈયો ભણ્યો છે. ડીસા આવેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રીએ આ મામલે સુખદ ઉકેલ લાવી તમામ સંપ્રદાયોને સનાતન ધર્મ સાથે જોડવાની વાત કરી હતી.

સ્વામિનારાયણના વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજીના મંદિરના ભીંતચિત્રો વિવાદ મામલો સમગ્ર દેશમાં આગની જેમ પ્રસરી રહ્યો છે. હનુમાનજીની વિશાળ મૂર્તિ નીચે લગાવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના દાસ બતાવવાના મામલે અનેક સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમજ આ મુદ્દે હિન્દુઓના સૌથી મોટા ગણાતા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવે તેવી પણ માંગણી હિન્દુ પ્રેમી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ કોઈપણ પ્રકારનું આંદોલન કરવાનું નથી. તેમ ડીસા ખાતે આવેલા વિહીપના પ્રદેશ મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું.

આ અંગે અશોક રાવલે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન કરવાનું નથી. આ તમામ સંપ્રદાય સનાતન ધર્મના છે અને અમે તમામને એક કરવાનું કામ કરીએ છીએ. કોઈ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી. સાળંગપુર હનુમાનજી મામલે અમે અન્ય સંતો સાથે મળી આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસો કર્યા છે.

 અમારો હેતુ તમામ સંપ્રદાય એક બને અને હિન્દુત્વ મજબૂત થાય તેવો છે. આ સમગ્ર મામલાનું ઉકેલ વિવાદથી નહીં સંવાદ લાવવા સંતોને વિહીપે અપીલ કરી છે. હાલના સમયમાં હિન્દુ સમાજને જોડવા વાળા સંતો કરતા તોડવા વાળા લોકો વધારે છે. વિધર્મીઓ પણ ઈચ્છે છે કે, આ બધા સંપ્રદાય લડતા રહે, પરંતુ વિહીપ આમ થવા દેશે નહીં. લોકોની અજ્ઞાનતાના કારણે આવા પ્રશ્નો ઉભા થતા હોય છે. જેનો સંતોએ સાથે મળી લોકોને સમજાવી ઉકેલ લાવવો જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારના કાર્યો કરવા જઈ રહ્યું છે.