પાલનપુરના બે ભાઈઓ પાસેથી કાફેનો સામાન ખરીદયા પછી અને બેંકમાં પડેલુ સોનુ છોડાવ્યા પછી રૂપિયા 8.30 લાખ ન આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે યુવકે પાલનપુર, ગોળા અને ડાલવાણાના ત્રણ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર સોનબાગ ગીતા સોસાયટીમાં રહેતા પ્રવણકુમાર કમલેશભાઈ શ્રીમાળીએ પાલનપુર આબુ હાઇવે નજીક 11 માસના ભાડેથી કેફે ચાલુ કર્યું હતું. જોકે, પ્રણવકુમારને નર્મદા જિલ્લાના તિલકવાડામાં તાલુકા પંચાયત ટેકનિકલ સુપરવાઇઝર તરીકે નોકરી લાગતા તેમણે કાફેનો સામાન વેચવા માટે કાઢ્યો હતો. આથી તેમના મિત્ર સોનબાગના પ્રદીપભાઈ કાંતિભાઈ સોલંકી, પાલનપુર તાલુકાના ગોળાનો ભાવેશભાઈ ઉર્ફે વૈભવ લાલજીભાઈ પરમારે અમારે અમદાવાદમાં કાફે બનાવવાનું છે. તેમ કહી સરસામાન વહેંચાતો રાખવા માટે વાત કરી હતી. અને અમદાવાદ લઈ જઈ વડગામ તાલુકાના રણજીતસિંહ અભજીજી હડિયોલ સાથે મુલાકાત કરાવી હતી.

 અને રૂપિયા 6,80,000માં સામાન વેચાતો રાખ્યો હતો. તેમાં રણજીતસિંહે રૂપિયા 4 લાખનો ચેક આપ્યો હતો. તેમજ પ્રણવના ભાઈ પૃથ્વીને સાથે લઈ જઈ પાલનપુર બેંકમાં અડાણ પેટે પડેલ રૂપિયા 1.80 લાખનું સોનું છોડાવી પોતાની પાસે રાખ્યું હતું. દરમિયાન પ્રણવભાઈએ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા સોનું પણ પરત માગ્યું હતું.

જોકે, ત્રણેય જણાએ રૂપિયા 6.80 લાખ અને રૂપિયા 1.50 લાખનું સોનું પરત નહીં આપી ધમકી આપી હતી. આ અંગે પ્રણવકુમારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ ધરી હતી.