મહિલાઓ પગભર થાય એ હેતુથી વરાછા ખાતે સુરત જ્વેલરી મેનુફેક્ચરીંગ એસો. અને WICCI દ્વારા ‘અભિલાષા’ કાર્યક્રમ યોજાયો

આર્થિક પરિવર્તનના વાહક બનવા બહેનો આત્મનિર્ભર બને તે સમયની માંગ: કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ

અગાઉ અનેક મર્યાદાઓ વચ્ચે જીવન જીવતી સામાન્ય મહિલાઓ આજે સ્વબળે દરેક ક્ષેત્રમાં નવી ઓળખ સાથે સફળતા મેળવી રહી છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ

સુરત જ્વેલરી મેનુફેક્ચરીંગ એસોસિએશન(SJMA) અને WICCI-(વુમન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ &ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા મહિલાઓ પગભર થાય અને તેમનું કૌશલ્યવર્ધન થાય એ ઉદ્દેશ્યથી સરદાર સ્મૃતિ ભવન, મિની બજાર, વરાછા ખાતે ‘અભિલાષા: નવા ઉમંગ નવી ક્ષિતિજ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, કૃષિ, પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સાંસદશ્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

              આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, બહેનોએ પગભર અને આર્થિક સશક્ત બનવા પ્રવૃતિમય રહેવું જરૂરી છે. આર્થિક પરિવર્તનના વાહક બનવા બહેનો આત્મનિર્ભર બને તે સમયની માંગ છે. દેશના પ્રત્યેક પરિવારની બહેનોએ દરેક પરિસ્થિતિમાં અન્ય પર નિર્ભર ન રહેવું પડે કે લાચારીનો સામનો કરવો ન પડે તે માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

              મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આત્મવિશ્વાસ વધવાની સાથે મહિલાઓ કાર્યશીલ બનતા આર્થિક ઉપાર્જનની તકો મેળવી શકશે. સરકારે સ્કીલ ડેવલપમેન્ટ માટે સમર્થ સ્કીમમાં ૪૫ દિવસની ટ્રેનિંગ બાદ તાલીમાર્થીને રૂ.૩૦૦ અને પ્રશિક્ષકને રૂ.૧ હજારનું સ્ટાયપેન્ડ આપવામાં આવે છે.

           મહિલા સશક્તિકરણ માટે એસજેએમએ અને WICCI સંસ્થાને અભિનંદન પાઠવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, બહેનો પુરૂષ સમોવડી બની રહી છે. અગાઉ અનેક મર્યાદાઓ વચ્ચે જીવન જીવતી સામાન્ય મહિલાઓ આજે સ્વબળે દરેક ક્ષેત્રમાં નવી ઓળખ મેળવીને સફળતા મેળવી રહી છે, અને સેલ્ફ ડેવલપમેન્ટથી સમૃદ્ધિના શિખરો સર કરી રહી છે.

              જ્યાં દીકરીઓ, માતાઓનું સન્માન થાય છે, ત્યાં ઈશ્વરનો વાસ થાય છે એમ જણાવી તેમણે વધુમાં ઉમેર્યું કે, જવેલરી ઉત્પાદન જેવા મહેનતુ ક્ષેત્રમાં બહેનો યોગદાન આપી રહી છે. જે બહેનો નોકરી કરી આ ક્ષેત્રે પગભર થવા માંગતી હોય તેમને નોકરી માટેની તકો મળે અને સ્વરોજગાર કરવા ઇચ્છતી બહેનોને માર્ગદર્શન અને યોગ્ય પ્રોત્સાહન માટે મળી રહે તે માટે અભિલાષા મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન સરાહનીય હોવાનો અને આ પ્રયાસથી અનેક બહેનોને નવી રાહ મળશે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. 

            સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પરિવારમાં હંમેશા દીકરીઓ સૌની વ્હાલી હોય છે. દરેક સફળ પુરૂષની પાછળ એક મહિલાનો હાથ હોય છે. બહેનો આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બને એ રાજ્ય અને કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે, ત્યારે શિક્ષિત બની, યોગ્ય દિશા નક્કી કરી મક્કમતાથી પ્રગતિના માર્ગે આગળ વધવા શ્રી પાટીલે સૌ બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

              સંઘર્ષ કરીને આપબળે આગળ વધી ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અને સમાજમાં સન્માનજનક સ્થાન મેળવનાર ૨૦ મહિલાઓનું આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ અને મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. 

           નોંધનીય છે કે, સુરત જ્વેલરી મેનુફેક્ચરીંગ એસો. દ્વારા કાર્યરત ટ્રેનિંગ સેન્ટરમાં બહેનોને ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં રોજગારી અને કૌશલ્યવર્ધન માટે તાલીમ આપવામાં આવે છે.

           આ પ્રસંગે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એશોસિએશના પ્રમુખ જૈન્તિભાઈ સાવલીયા,વુમન ઈન્ડિયન ચેમ્બર ઓફ કોર્મસના ડો.રિંકલ જરીવાલા, સામાજીક અગ્રણી કાનજીભાઈ ભાલાળા, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગૃહિણીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.