ડીસા તાલુકાના મામલતદાર કચેરી ના ઝેરડા સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી લાંચ લેતા ઝડપાયા છે, ખેડૂત ની જમીન ના ભાગ પાડી વારસાઈ કરવાની અને કાચી નોંધો મંજૂર કરવા માટે રૂપિયા 18000 ની લાંચ લેતા પાલનપુર એસીબી ટીમના હાથે રંગે હાથ ઝડપાયા છે, તલાટી નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ મોટી ઉંમરે ભ્રષ્ટાચાર માટે મામલતદાર કચેરી માં બેસી કામ કરતા હતા..
સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓ માં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે, જેને ડામવા રાજ્યના લાંચ રિશ્વત વિરોધી દળે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે, ત્યારે આજે ડીસા મામલતદાર કચેરી ના જનસેવા કેન્દ્ર ખાતે બનાસકાંઠા એસીબી ટીમે રેડ કરી સર્કલ ઓફિસર અને નિવૃત્ત તલાટી ને લાંચ લેતા ઝડપી પાડ્યાં..
ડીસા મામલતદાર કચેરી માં આ કામના ફરિયાદીએ પોતાની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓ ભાગની જમીન જુદી પાડવા તેમજ વારસાઈની તેમજ વેચાણ દસ્તાવેજોની કાચી નોંધો પડાવવા અરજી મુકી હતી, જે નોંધો મંજૂર કરવા માટે ઝેરડા ના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશભાઈ નાનજીભાઈ પ્રજાપતિ દ્વારા રૂપિયા. 18,000 ની લાંચ માંગવામાં આવી હતી, જે ફરિયાદી આપવા ઇચ્છતા ન હોવાથી તેઓએ લાંચ વિરોધી દળ નો સંપર્ક કર્યો હતો, જે અંતર્ગત એ.સી.બી.બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એસીબી પી.આઈ.એન.એ ચૌધરી એ ટીમ સાથે ડીસાના જનસેવા કેન્દ્ર ખાતે છટકું ગોઠવ્યું હતું..
જેમાં ઝેરડા સર્કલ ઓફિસર વતી કચેરીમાં બેસતા નિવૃત તલાટી દશરથલાલ ચુનીલાલ ત્રિવેદીએ રૂપિયા 18,000ની લાંચ સ્વીકારી તે પૈસા ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ને આપતા એસીબીએ બંનેને ઝડપી લીધા હતા..
એસીબી ટીમે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે, દશરથલાલ ત્રિવેદી અગાઉ ડીસામાં તલાટી તરીકે કામ કરતા હતા. તેઓ નિવૃત્ત થયાના 26 વર્ષ બાદ પણ દર રોજ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર રૂપી મલાઈ મળતી હોવાથી મોટી ઉંમરે દર રોજ મામલતદાર કચેરીમાં બેસી કામ કરતા હતા..
નિવૃત્તિના 26 વર્ષ બાદ પણ તેઓએ ભ્રષ્ટાચાર કરવાનું છોડ્યું ન હતું, જેમાં આજે તેઓને જેલ જવાનો વારો આવ્યો છે..