ડીસા તાલુકાના કણઝરા ગામે દેવીપૂજક પરિવારમાં કૌટુંબીક ઝઘડાની અદાવતમાં બે શખસોએ છરી અને ધોકા વડે એક વૃદ્ધની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કણઝરા ગામના શંકરભાઈ નાનજીભાઈ દેવીપૂજક ગામમાં ગૌચરની જમીનમાં છાપરા બનાવી રહે છે અને બકરા ચરાવી તેઓનું ગુજરાત ચલાવે છે. તેમના પિતા નાનજીભાઈ હરિભાઈ દેવીપુજક ગતરાત્રે તેમના ભાઈના ઘરેથી જમીને ગામમાં આવેલા તેઓના જુના ઘર તરફ જતા હતા.

ત્યારે રસ્તામાં સહદેવભાઈ છગનભાઈ દેવીપૂજક અને અશોકભાઈ પ્રહલાદભાઈ દેવીપૂજક બંને જણાએ નાનજીભાઈને રોકીને અગાઉ તેમના દીકરા અને તેની પત્નીએ કેમ ફરિયાદ કરી હતી. તેમ કહી અપશબ્દો બોલી છરીના ઘા મારી તેમજ ધોકા વડે માર મારતા નાનજીભાઈ લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા.

જે અંગેની જાણ થતા તેમના પરિવારજનો દોડી આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાનજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે શંકરભાઈ દેવીપૂજકે તેમના પિતાની હત્યા કરનાર સહદેવ દેવીપૂજક અને અશોક દેવીપૂજક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.