સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે શનિવારે ડેમ પાસે એક યુવાન ડુબી ગયો હોવાની જાણ કારી મળી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, વિશ્વજીતભાઇ, શક્તસિંહ, વિપુલભાઇ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ડેમની પાળે યુવાનનું એક્ટીવા, મોબાઇલ, પાકીટ મળી આવ્યા હતા.આથી તે સ્થળે અને ડેમના પાણીમાં તથા આસપાસ શોઘખોળ હાથ ધરી હતી. જે 4 કલાક જેટલા સમય ગાળા બાદ જીન્સનુ કાળુ પેન્ટ અને ચેક્સવાળા શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા તપાસમાં યુવાન 20 વર્ષીની ઉમરના અને વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારના દિવ્યાંસ કિશોરભાઇ વાઘેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.