'અમૃત ભારત સ્ટેશન' યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજ રોજ દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 508 જેટલા રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિત ગુજરાતના કુલ 21 જેટલા સ્ટેશનો મુસાફરો માટે વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી રીડેવલપ કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ પ્રસંગે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પણ કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અઘ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમા રેલ્વે સ્ટેશનના પુન: વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના 1309 રેલવે સ્ટેશનો પૈકી દેશના 508 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસિત કરવામાં આવી રહ્યા છે.જે આપણા માટે ગૌરવની વાત છે. આ સ્ટેશનોને રૂ.24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનને પણ રૂ. 35.13 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે.મંત્રીએ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનની સુવિધાઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ રેલવે સ્ટેશન રિડેવલપ થશે અને પેસેન્જરોને મળતી હાલની સુવિધાઓમાં વધારો થશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનમાં બહેતર લાઇટિંગ, લિફ્ટ, પ્રવેશ અને નિકાસના અલગ અલગ દ્વાર,પરિભ્રમણ વિસ્તારો, પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગો- પ્રેગનેન્ટ મહિલાઓ તેમજ બાળકોને અનુકૂળ આવે તેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતોનું નિર્માણ થશે. આ ઉપરાંત 'વન સ્ટેશન, વન પ્રોડક્ટ'ના માધ્યમથી ઝાલાવાડની પ્રખ્યાત વસ્તુઓનું વેચાણ શક્ય બનશે.હાલમાં થાનગઢ, લીંબડી, લખતર, હળવદ તાલુકાઓને અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રિડેવલપ થયેલ આ રેલવે સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે રેલવે મુસાફરી વધુ સુવિધાયુક્ત બનાવશે.લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે,અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 24 હજાર કરોડથી વધુના ખર્ચે 508 રેલવે સ્ટેશનોને રિડેવલપ કરવા રેલવે મુસાફરો અને નાગરિકોને વિશ્વસ્તરીય જાહેર પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.