ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં ૧૬૦ મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.૨૮-૦૭-૨૦૨૩ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો ૫૯૯.૩૫ ફૂટ એટલે કે ડેમ ૮૬.૬૨ ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી ૬૦૪ ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૧૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. હાલ દાંતીવાડા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. બનાસ નદીમાં પાણી છોડ્યું ત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા વારંવાર લોકોને નદીમાં અવરજવર ન કરવા કે નાહવા ન જવા માટેની વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે . તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની સૂચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે . ભડથ ગામનો પ્રવિણસિંહ વાઘેલા નામનો યુવક પણ ગેનાજી ગોળીયા પાસેથી પસાર થતી નદીમાં નાહવા પડ્યો હતો અને પાણીના વમણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો . ઘટનાને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તારવૈયાઓ દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી . આ ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ સહિતની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.