ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં બાયપાસ રોડ પર રેલવે ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ પણ મોત નિપજ્યું હતુ.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પુરઝડપે માંતેલા સાંઢની માફક આવી રહેલા અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને બન્ને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.