કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે નાનીકડીમાં આવેલ ગોકુલધામ સોસાયટી તેમજ અશોક વાટીકા સોસાયટીમાં રહેતા અમદાવાદના PSIના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથ માર્યો હતો. ગોકુલધામ સોસાયટીમાં રહેતા કુલદીપ ભરતભાઈ અણદરીયા ગત શનિવારે રાત્રે ઘર બંધ કરીને નોકરી ગયા હતા. રવિવારે સવારે ઘરે આવીને જોયું તો મકાનનું તાળું તૂટેલ હતું. અંદર તપાસ કરતાં તિજોરીમાંથી રોકડા રૂ.20 હજાર તથા ચાંદીની ઝાંઝર રૂ.7900 મળી કુલ રૂ.29000 થી વધુ ની મત્તા ચોરાઇ હોવાની જાણ થતાં કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અશોક વાટીકા સોસાયટીમાં રહેતાં અલકાબેન ઠાકોર કે જે અમદાવાદ ખાતે PSI તરીકે ફરજ બજાવે છે. તેમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદરથી માલમત્તા ચોરી કરી લઈ ગયા છે. પરંતુ તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ચોરીને પગલે રહીશોમાં ભયનો માહોલ પેદા થયો છે.