જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી.સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.