સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાઈવે ઉપર વખતપરના બોર્ડ પાસે કાર-બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વખતપરના એક વ્યકિતનું મોત નિપજ્યું હતું તથા એક વ્યકિતને ઈજા થઈ હતી.

વખતપર ગામે રહેતા પ્રવિણભાઈ ઠાકરશીભાઈ ચાવડા, ગામના જ કરસનભાઈ ગોવિંદભાઈ જાદવ સાથે કરસનભાઈના બાઈક ઉપર રામદેવપીરના મંદિરે દર્શને જવા નીકળ્યા હતા.ત્યારે હાઈવે ઉપર વખતપરના બોર્ડ પાસે સાયલા બાજુથી પુરપાટ ઝડપે આવતી સફેદ કલરની કારના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા પ્રવિણભાઈ અને કરસનભાઈ બન્ને ફંગોળાઈને ડીવાઈડરમાં પડયા હતા.બન્નેને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સાયલા સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં પ્રવિણભાઈને પગે ફેકચરની સારવાર આપીને રજા અપાઈ હતી. જ્યારે કરસનભાઈનુ ગંભીરઈજાથી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રવિણભાઈએ સાયલા પોલીસમાં ભાગી ગયેલા કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.