ભારત દેશમાં રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે બે દિવસથી તોફાની પવન સાથે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ તોફાની વરસાદનું તાંડવ યથાવત રહેવાનું છે. ત્યારે હવે બીજા એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર 12થી 14 જૂન દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. નિષ્ણાંતોએ તો ત્યાં સુધી દાવો કર્યો કે આ વાવાઝોડું પોરબંદરથી નલિયા વચ્ચે ટકરાશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 7 જૂન આસપાસ લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆત દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક હોવાનું અનુમાન છે. ત્યારે 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તો દરિયાકિનારે 50થી 100 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન છે. જો છેલ્લી ઘડીએ વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે.